હાઈવે-રસ્તાઓ પરથી રખડતાં શ્વાન અને પશુઓ હટાવો..’ નસબંધી કરીને શેલ્ટર હોમમાં રાખો, જ્યાંથી પકડો ત્યાં પાછા ન છોડોઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ રખડતા કૂતરાઓ સાથે જોડાયેલા એક કેસમાં કહ્યું કે, રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય આખા દેશમાં લાગુ થશે. બધા સ્ટેટ અને નેશનલ હાઈવે પરથી રખડતા પશુઓને હટાવવામાં આવે. રખડતા કૂતરાઓથી નિપટવા માટે હોસ્પિટલો, સ્કૂલો અને કોલેજ કેમ્પસમાં વાડ લગાવો પકડાયેલા રખડતા કૂતરાઓને તે જ જગ્યા પર પાછા છોડવામાં નહીં આવે, જ્યાંથી તેમને ઉઠાવવામાં આવ્યા હતા. આ કેસમાં જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચમાં સુનાવણી થઈ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બધા રાજ્યોના મુખ્ય સચિવ આ નિર્દેશોનું કડક રીતે પાલન કરાવશે. સ્ટેટસ રિપોર્ટ અને સોગંદનામું ૩ અઠવાડિયામાં દાખલ કરવામાં આવે. આ કેસમાં આગામી સુનાવણી હવે ૧૩ જાન્યુઆરીના રોજ થશે.
૩ મહિના પહેલાં રાજસ્થાન હાઈકોર્ટે જવાબદાર સરકારી એજન્સીઓને રસ્તાઓ પરથી રખડતા જાનવરોને હટાવવાનો આદેશ આપ્યો હતો. કહ્યું હતું કે કાર્યવાહીને અસર કરનારાઓ વિરુદ્ધ FIR પણ થશે. ૩ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે સરકારી ઈમારતોના કેમ્પસમાં કૂતરાઓને ખવડાવવાના નિયમો અંગે સૂચનાઓ જારી કરશે. કોર્ટે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાથી પણ મુક્તિ આપી હતી, પરંતુ ચેતવણી આપી હતી કે જો સોગંદનામામાં કોઈ ભૂલ હશે, તો તેમને હાજર રહેવાની જરૂર પડશે.
૨૮ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે એક મીડિયા રિપોર્ટ પર સ્વતઃ નોંધ લીધી, જેમાં દિલ્હીમાં ખાસ કરીને બાળકોમાં રખડતા કૂતરા કરડવા અને હડકવાના કેસોની જાણ કરવામાં આવી હતી. બાદમાં, સુપ્રીમ કોર્ટે આ કેસનો વ્યાપ ફક્ત દિલ્હી એન સી આર જ નહીં, પરંતુ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિસ્તાર્યો.
Leave a Reply